મંગળવાર, 10 જુલાઈ, 2018

Who is at loss?

કોણ ખોટ માં છે ? ડોકટરો ની મહેનત અને નિષ્ઠા પર નિરર્થક શંકા કુશંકા ઓ કરી, ડોકટર ની ભૂલ હોય કે ન હોય ટોળા ભેગા થયી ડોકટર પર શારિરીક હુમલાઓ કરી, માલમિલ્કત ને નુકશાન પહોંચાડી, ડોકટર ને ઘમકીઓ આપી, ડોકટર પાસે થી ફિરોતિ ની રકમ માંગી તોડ કરી, કોણ નુકશાન માં છે ? ડોકટર ? ના જરા પણ નહીં.....મોટા ભાગના ડોકટરો આજે પણ એમની રોજિંદી પ્રેક્ટિસ થી ખપ પૂરતું કમાઇજ લે છે. એ અડધી કે પોણી કે આખી રાત્રે ઊંઘ બગાડી દોડે છે એ પૈસા કમાવાની વૃત્તિ ને બાજુ પર મૂકી પોતાની દર્દી, સમાજ પ્રત્યે ની જવાબદારી ને કારણે દોડે છે. એ વર્ષો થી જે દર્દી ને સારવાર આપે છે એની સાથે ના સંબન્ધ ના વિશ્વાસે દોડે છે. ડોકટર સમજે છે કે ભલે એની રાત ના ઉજાગરા ની, સિનેમા માંથી અધવચ્ચે દોડી જતા એમના પરિવાર જનો ની નારાજગી ની, રવિવાર ની રજા ની કુરબાની કે વેકેશન ની કુરબાની ની કોઈ કિંમત કોઈ દર્દી નથી ચૂકવી આપવાનો છતાં ડોકટર દર્દી પ્રત્યે ની અનુકમ્પા અને જવાબદારી ને કારણે RISK BENEFIT RATIO કે જોખમ સામે વળતર ની ઓછી કિંમતે પણ દોડે છે. ભૂતકાળ માં જેમ અમુક વ્યક્તિ કહે છે એમ ડોકટરો બહુ સારા હતા તેમ દર્દીઓ અને એમના સગા પણ ખૂબ સારા હતા. ડોકટર ની મહેનત ને માન આપતા હતા અને એમની મુશ્કેલીઓ અને એમની વિવશતા કે ન બચાવી શકવાની મજબૂરી ને સમજતા હતા. ક્યારેક કોઈ સીરીયસ કેસ બગડે તો ડોકટર ને સધિયારો રહેતો કે સગાઓ તેની મહેનત અને લગન જોઈ હોવાથી કોઈ આક્ષેપ, કે શારીરીક કે માનસિક હેરાનગતિ નહિ જ કરે
આજે કોઈ પણ નવા કે જુના ડોકટર "જોખમ" લેવા તૈયાર નથી. મોટા ભાગ ના સિનિયર ડોકટરો એ ગંભીર કેસ ને દાખલ કે એટેન્ડ કરવાના બન્ધ કરી દીધા છે. ટાઢા પાણી એ ખસ જાય એમ આવા દર્દીઓ ને tertiary સેન્ટર પર રીફર કરી દેવાય છે. આવા સેન્ટરો ખૂબ ખર્ચાળ હોવા છતાં ડોકટરો કમને પોતાની ભવિષ્ય ની થનાર હેરાનગતિ થી બચવા રીફર કરી હાથ ખંખેરી નાખે છે. વિકટ ઓપરશન પણ ઘણાખરા સિનિયર સર્જનો આવા મોટા સેન્ટર પર કરે છે (પોતાની હોસ્પિટલ માં 10 ગણા ઓછા ભાવે કરી શકે પણ બીકે બબાલ એમને આમ કરતા રોકે છે)
હિસાબ માન્ડો તો ડોકટર ની આવી ઇમરજન્સી ની કમાણી જતી થાય તેની સામે એની આઉટડોર પ્રેક્ટિસ નિર્વિઘ્ને ચાલે છે જેથી કમાણી માં કોઈ ખાસ ફર્ક પડતો નથી
તો ફર્ક કોને પડે છે ????
ફરક પડે છે દર્દીઓ ને.....એમના અને એમના સગાવહાલાઓ ના રાઉડી વર્તન અને ગુંડાગીરી થી ત્રાહિમામ પોકારી મોટા ભાગ ના તબીબો હવે કોઈ "જોખમ" લેતા નથી. સરવાળે દર્દીઓ ને જે સારવાર પાણી નહિ તો દૂધ ના ભાવે મળતી હતી તે માટે હવે એમણે પેટ્રોલ ના ભાવ ભરવા પડે છે. થોડા વખત થી મીડિયા અને સત્તાધીશો ના નિવિદનો થી જેમ દરેક દર્દી કોઈ પણ ડોકટર ને ગુંડા ની નજરે જોતો હતો એમ હાલ દરેક ડોકટર આવનાર દર્દી ને એક પોટેન્શિયલ બબાલ મેકર અને ગુંડા તરીકે જોવા માંડ્યો છે .....આમાં અંતે નુક્શાન સમાજ નુજ છે. કોણ રાત્રે ઊંઘ બગાડી માર ખાવા જાય?????
હજી પણ જો સમાજ પોતાની આ દ્રષ્ટિ અને વૃત્તિ નહિ ફેરવે તો આવનાર પેઢી માંથી મોટાભાગના તબીબો ક્યાં તો વિદેશ ભાગી જશે અથવા તો કોર્પોરેટ હોસ્પિટલ ની બબાલમુક્ત નોકરી કરશે પરંતુ સમાજ માટે જરૂરી નાની સસ્તી હોસ્પિટલ ક્યારે પણ ખોલશે કે ચલાવશે નહિ.......જાગો દર્દી ગ્રાહક જાગો.....જવાબદારી થી વર્તો અને શાંતિ થી તમારા તબીબ સાથે વર્તો

ટિપ્પણીઓ નથી: