મંગળવાર, 16 જૂન, 2026

Keep silence for a while when you are angry

https://whatsapp.com/channel/0029Vb7K0LDDOQIXMQrONe0k


એક વ્યક્તિને વાતે વાતે બહુ જ ગુસ્સો આવી જતો હતો. સ્વભાવની આ આદતના કારણે આખું પરિવાર ભારે પરેશાન રહેતું હતું. ઘરમાં કાયમ કલેશ અને અશાંતિનું વાતાવરણ છવાયેલું રહેતું હતું.


એક દિવસ તે ઘરના દરવાજે કોઈ સાધુ મહારાજ પધાર્યા. તે વ્યક્તિએ આદરપૂર્વક મહારાજને વંદન કર્યા અને પોતાની આ મોટી સમસ્યા વિશે વાત કરી. 


તેણે ખૂબ જ આજીજી કરતા કહ્યું, "મહારાજ! મને બહુ જલ્દી અને અતિશય ગુસ્સો આવી જાય છે. હું દિલથી ઈચ્છવા છતાં પણ મારા ગુસ્સા પર જરાય નિયંત્રણ રહેતું નથી. કૃપા કરીને આમાંથી બચવાનો કોઈ સચોટ ઉપાય બતાવો."


સાધુ મહારાજ બધી વાત શાંતિથી સમજી ગયા. તેમણે પોતાની ઝોળીમાંથી એક નાની દવાની શીશી કાઢીને આપી. 


તેમણે ઉપાય બતાવતા કહ્યું, "જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે તરત જ આ દવાના ચાર ટીપાં પોતાની જીભ પર નાંખી લેવા. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ૧૦ મિનિટ સુધી આ દવાને મોંમાં જ રાખવાની છે."


"ત્યાં સુધી મોં બિલકુલ ખોલવાનું નથી! જો ૧૦ મિનિટ પહેલાં મોં ખુલશે, તો આ દવાની કોઈ જ અસર થશે નહીં!" સાધુ મહારાજે ગંભીર થઈને ચેતવણી આપી.


તે વ્યક્તિએ સાધુ મહારાજે જણાવ્યા પ્રમાણે જ દવાનો ઉપયોગ શરૂ કરી દીધો. જ્યારે પણ ગુસ્સો આવવાનો ઉભરો થાય, ત્યારે તરત જ શીશીમાંથી ચાર ટીપાં જીભ પર મૂકીને મોં સજ્જડ બંધ કરી દેવામાં આવતું.


આશ્ચર્યની વાત એ હતી કે માત્ર સાત દિવસમાં જ ગુસ્સો કરવાની વર્ષો જૂની આદત એકદમ છૂટી ગઈ! ઘરમાં વાતે વાતે થતી તકરાર બંધ થઈ ગઈ.


બરાબર સાત દિવસ પછી તે સાધુ મહારાજ ફરીથી તે જ દરવાજે આવ્યા. સાધુને જોતાં જ તે વ્યક્તિ દોડીને તેમના પગે પડી ગઈ. 


તેણે અત્યંત ખુશ થઈને કહ્યું, "મહારાજ! તમારી આ ચમત્કારી દવાથી મારો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો છે! હવે મને વાત વાતમાં ક્રોધ નથી આવતો અને મારા આખા પરિવારમાં પરમ શાંતિનું વાતાવરણ રહે છે."


ત્યારે સાધુ મહારાજ સહેજ હસ્યા અને તેમણે એક મોટું રહસ્ય ખોલતા જણાવ્યું, "અરે ભાઈ! એ શીશીમાં કોઈ ચમત્કારી દવા નહોતી!! તેમાં તો ફક્ત સાદું પાણી ભરેલું હતું!!"


વાસ્તવમાં ચમત્કાર પાણીનો નહીં, પણ મૌનનો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ક્રોધની અવસ્થામાં હોય છે, ત્યારે તેની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને મોંમાંથી માત્ર કડવા વેણ જ નીકળે છે. 


ગુસ્સાનો સાચો ઈલાજ માત્ર અને માત્ર ચૂપ રહીને જ કરી શકાય છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો હંમેશા વિવાદ અને દુશ્મની વધારે છે, જ્યારે મૌન તે આગને ઠારી દે છે. 


ક્રોધ એ ક્ષણિક પાગલપન છે, તેને શાંત કરવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય મૌન ધારણ કરી લેવું તે જ છે. તેથી જ કહેવાયું છે કે, "ન બોલવામાં નવ ગુણ." ✨હરેકૃષ્ણ" …✍

From Blogger iPhone client

ટિપ્પણીઓ નથી: